કૃતિ-પરિચય : ‘પ્રતીતિ’
પ્રમોદકુમાર પટેલનું કોઈપણ વિવેચનકાર્ય – એ પછી સિદ્ધાન્તવિવેચન હોય કે કૃતિ પરનો સમીક્ષાલેખ હોય – એ એમના ઊંડા ને વ્યાપક સ્વાધ્યાયતપનું ફળ હોય છે.
‘પ્રતીતિ’માં ‘સર્જકતા અને સાહિત્ય’, ‘લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય’, વગેરે જેવા વૈચારિક-સૈદ્ધાન્તિક લેખો છે; કોઈ વિશેષ સાહિત્યસ્વરૂપમાં તે તે સાહિત્યકારની ઊપસતી વિશેષતાઓ અને એ લેખકના પ્રદાનની ચર્ચા કરતા લેખો છે – જેમ કે ‘ઉમાશંકરની વિવેચનપ્રતિભા’, ‘દ્વિરેફની વાર્તાકળા’, ‘નવલકથાકાર મેઘાણી’. આ ઉપરાંત આ પુસ્તકમાં કૃતિની સમીક્ષા, ખરેખર તો કૃતિ-તપાસ કરતા લેખો પણ છે – જેવા કે ‘તપસ્વિની’ (મુનશી) અને ‘હિમાલયનો પ્રવાસ’ (કાલેલકર).
આ સર્વ લેખોમાં હાથ ધરેલા વિષયની, મુદ્દાઓની ચોપાસથી કરેલી તપાસ છે, એમાં ચિકિત્સા છે, નિરીક્ષણો છે ને સાહિત્યનો રસ-આસ્વાદ પણ છે.
આ કારણે આ પુસ્તકના લેખોનું વાચન રસપ્રદ અને વિચારણીય છે ને દરેક લેખ વાચકને-અભ્યાસીને કશુંક નક્કર સંપડાવી જાય છે.
– રમણ સોની
પ્રમોદકુમાર પટેલ
પ્રમોદકુમાર ભગુભાઈ પટેલ (જ. ૨૦.૯.૧૯૩૩ – અવ. ૨૪.૫.૧૯૯૬) આધુનિક સાહિત્ય અને વિવેચનની, પશ્ચિમી પરંપરાના તેમજ ગુજરાતી અને સંસ્કૃતની વિદ્યાપરંપરાના નિતાન્ત અભ્યાસી રહેલા તત્ત્વનિષ્ઠ વિદ્વાન હતા. ગુજરાતી સાહિત્યના પ્રવાહો, ગ્રંથકારો તેમજ કૃતિઓના ઇતિહાસલક્ષી તેમજ ભાવનલક્ષી વિવેચનમાં પણ એમની કેળવાયેલી સાહિત્યરુચિ સન્નિષ્ઠાથી પ્રવર્તતી રહી.
તેજસ્વી અભ્યાસ-કારકિર્દી મુંબઈ યુનિવર્સિટીમાં ઘડાઈ. બારડોલીમાં ને પછી વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં નિવૃત્તિપર્યંત ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કર્યુ. અધ્યાપનકાર્યનાં આરંભનાં વર્ષોમાં જ એમણે, પંડિતયુગ સુધીના વિવેચકોના વિવેચનતત્ત્વવિચારને તપાસતું પીએચ.ડી.નું સંશોધન કર્યું એ પછી એમણે સંસ્કૃતનો ‘રસસિદ્ધાન્ત’, ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ જેવા સળંગ સૈદ્ધાન્તિક-ઐતિહાસિક ગ્રંથો આપ્યા. એમના મહત્ત્વના વિવેચન-સંગ્રહો ‘વિભાવના’, ‘કથાવિચાર’, ‘કળા, સાહિત્ય અને વિવેચન’, ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ વગેરે પણ એક વિષય-સ્વરૂપ-કેન્દ્રી વિવેચનના નમૂનારૂપ છે. પશ્ચિમના ને સંસ્કૃતના સાહિત્યવિચારકો – કેસિરર, રૅને વેલેક, જહૉન ફ્લેચર, શ્રીકંઠૈયા, વી. રાઘવન, એસ. કે. ડે, વગેરે – ના ઉત્તમ દીર્ઘ લેખોના એમના અનુવાદોનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે.
આ વિદ્વત્પુરુષે ગુજરાતી કૃતિઓ-કર્તાઓ વિશે લખ્યું છે ત્યાં એમની ભાવનલક્ષી રસવૃત્તિ પણ સુપેરે પ્રગટ થઈ છે – એમના એક લેખનું શીર્ષક છે – ‘ઉશનસ્ની કવિતાના મર્મકોષોમાં’.
સદા નિષ્પક્ષ અને અજાતશત્રુ રહેલા પ્રમોદભાઈ આપણા એક વિરલ વિવેચક અને ઉષ્માભર્યા વ્યક્તિ હતા.
– રમણ સોની
પ્રમોદકુમાર પટેલનાં અન્ય પુસ્તકો
અન્ય પુસ્તકો
-
-
-
-
-
-
-
ઇબુક
અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર
સંપાદકો: અજયસિંહ ચૌહાણ, અશોક ચૌધરી, કનુભાઈ વાળા, ગુણવંત વ્યાસ, દીપક પટેલ, બી. બી. વાઘેલા, વર્ષા પ્રજાપતિ, સુનીલ જાદવ, હૃષીકેશ રાવલ
-
-
-
-
-
-
-
-