Author: વર્ષા પ્રજાપતિ

વર્ષા પ્રજાપતિ

ડૉ. વર્ષા એલ. પ્રજાપતિ 'ઝરમર' (જ. તા. ૨૩ નવેમ્બર, ૧૯૮૦, મૂળ વતન રાજસ્થાન, કાયમી નિવાસ ગુજરાત)

અમદાવાદની એસ. એલ. યુ. કોલેજમાં છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાતી વિષયના અધ્યાપિકા તરીકે કાર્યરત છે. તેમણે 'કવિ રમેશ પારેખ : એક અધ્યયન' વિષય પર પીએચ.ડી. પૂર્ણ કર્યું છે. સંશોધન, વિવેચન અને સર્જન ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે.

તેમણે ગીતકાવ્ય, ગઝલ, અછાંદસ સર્જન તથા વિવેચન-સંશોધન ક્ષેત્રે નવ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. જેમાં 'રમેશ પારેખની કાવ્યકલા' પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનો હરિલાલ માણેકલાલ દેસાઈ વિવેચન પારિતોષિક પ્રાપ્ત થયો છે. 'મોરપીંછના સરનામે' (૨૦૧૯) પ્રથમ ગીતસંગ્રહને વિશ્વભારતી સંસ્થાન દ્વારા કોકિલ-હીરા કાવ્યકલા પારિતોષિક પ્રાપ્ત થયું છે. 'અલખ-મલક અજવાળું' (૨૦૨૩) કાવ્યસંગ્રહને કલાગુર્જરી, મુંબઈ દ્વારા ગિરા ગુર્જરી પ્રથમ પારિતોષિક એનાયત થયું છે. 'ઊર્મિકાવ્ય' વિવેચન પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે. ઉપરાંત 'અછાંદસ કવિતા' સંશોધન પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તથા 'કાવ્યપરકમ્મા' વિવેચન પુસ્તક વર્ષ ૨૦૨૬માં પ્રકાશિત થયાં છે.

તેમના ૬૦થી વધુ સંશોધન અને વિવેચન લેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થયા છે. આકાશવાણી, GTPL ગુજરાતી તથા નેશનલ, સ્થાનિક એવા ઘણાં કવિસંમેલનોમાં તેમણે કાવ્યપાઠ, વ્યાખ્યાન અને સંચાલન દ્વારા સક્રિય ઉપસ્થિતિ નોંધાવી છે.

હાલમાં તેઓ અધ્યાપન સાથે સંશોધન, સાહિત્યસર્જન અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે.

– ડૉ. નિયતિ અંતાણી

Searching...