હિમાંશી શેલત (જન્મ ૮-૧-૧૯૪૭) : અનુઆધુનિક સમયના મહત્ત્વનાં વાર્તાકાર હિમાંશી શેલતનો જન્મ સુરતમાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં લીધું. સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી ભાષાસાહિત્ય સાથે ૧૯૬૬માં બી.એ. અને ૧૯૬૮માં એમ.એ. ત્યાર બાદ ચારેક મહિનામાં જ એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં જ અંગ્રેજી ભાષાસાહિત્યના અધ્યાપક તરીકે કારકિર્દી આરંભી. ૧૯૮૧માં 'વિદ્યાધર નાયપાલની નવલકથાઓ' વિશે અભ્યાસ કરીને પીએચ.ડી.ની પદવી મેળવી. અધ્યાપન ઉપરાંત તેઓ સમાજસેવાના કાર્યમાં પણ સંકળાયેલાં હતાં. જેમાં ઝૂંપડપટ્ટીમાં વસતાં બાળકો, સ્ત્રીઓ સાથે વાત કરવી, પ્લૅટફૉર્મ પરના બાળમજૂરોની જોડે સમય ફાળવવો. આ કાર્ય માટે વધારે સમય આપી શકાય એટલે ૧૯૯૪માં અધ્યાપન ક્ષેત્રેથી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી સેવાપ્રવૃત્તિનું ગમતું કાર્યક્ષેત્ર પસંદ કર્યું. સમાજકાર્યના દાવા-દેખાડા વિનાના અનુકંપાપૂર્ણ અનુભવે તેમને લેખન માટેની સામગ્રી પૂરી પાડવા ઉપરાંત તેમના સર્જનને પ્રતીતિજનક બનાવ્યું છે. ૧૯૯૫માં ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે એમણે લગ્ન કર્યાં.
હિમાંશીબહેનના સર્જનને અનેક પારિતોષિકોથી નવાજવામાં આવ્યું છે. તેમના 'અંધારી ગલીમાં સફેદ ટપકાં' (૧૯૯૨) વાર્તાસંગ્રહને ઉમાશંકર જોશી પારિતોષિક, ધૂમકેતુ ઍવૉર્ડ તેમ જ સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પારિતોષિકો મળ્યાં છે. આ ઉપરાંત 'અંતરાલ'(૧૯૮૭)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, 'એ લોકો'(૧૯૯૭)ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક તેમજ સ્મરણચિત્ર ‘પ્લૅટફૉર્મ નં. ચાર'(૧૯૯૮)ને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી અને કન્નડ ભાષા પારિતોષિક મળ્યાં છે. ૨૦૧૬માં તેમનું સાહિત્યસર્જન માટેના પ્રતિષ્ઠિત એવા દર્શક ફાઉન્ડેશન સન્માનથી ગૌરવ કરવામાં આવ્યું છે.
– પારુલ કંદર્પ દેસાઈ
'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથ ૮ (ખંડ ૨)માંથી સાભાર